એક સમયે એશિય કપની શરુઆત થઈ ત્યારે જે આંકડા સામે આવી રહ્યા હતા તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન એશિયા કપના ફાઈનલમાં લગભગ પહોંચી જશે, પરંતુ સુપર-4માં આવ્યા પછી ભારતીય ટીમનું પલડું નમતું થયું છે અને આ જ કારણે હવે ફાઈનલમાં પહોંચવાની સંભાવનાઓ છે પરંતુ એ પ્રમાણે થવું મુશ્કેલ છે.
ફરી એકવાર ભારતીય ટીમ એ સ્થિતિમાં પહોંચી ગઈ છે કે જો તેણે ફાઈનલમાં પહોંચવું હોય તો પોતાના નિષ્ફળ પ્રયાસો બાદ અન્ય ટીમો કેવી ગેમ રમે છે તેના પર બધું આધારિત રહેશે. એટલે કે અફઘાનિસ્તાન, શ્રીલંકા અને પાકિસ્તાન કઈ રીતે આગળની મેચો રમે છે તેના આધારે બધું નક્કી થશે. આગામી મેચોમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા પાકિસ્તાનને હરાવે અને ભારત અફઘાનિસ્તાનને હરાવે તો ફાઈનલમાં પહોંચવાની સંભાવના બની શકે છે, કારણ કે આ પછી પણ રનરેટનું ગણિત મહત્વનું રહેશે.
રોહિત શર્માની સ્ટ્રેટેજી સામે સવાલ
ભારત પાસે દુનિયાના બેસ્ટ ગણાતા ખેલાડીઓ છે પરંતુ તેમનો ઉપયોગ અને તેમને જવાબદારીઓ કઈ રીતે સોંપવી તેમાં રોહિતની ચૂક થઈ રહી હોવાની ચર્ચા થઈ રહી છે, ડેથ ઓવરમાં બેસ્ટ પરફોર્મન્સ આપનારા ભૂવનેશ્વર કુમારે પાછલી બન્ને મેચોમાં 19મી ઓવર નાખીને વિરુદ્ધ ટીમ સામે દબાણ બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. આ જ રીતે ઓપનિંગમાં જ ધડાધડ વિકેટ પડવાથી મિડલ ઓર્ડરમાં આવતા ખેલાડીઓ પર દબાણ વધી જાય છે. રિષભ પંત પર સૌથી વધુ ચર્ચાનો વિષય છે, કારણ કે દિનેશ કાર્તિક જેવા સિનિયર ખેલાડીને પોતાની ક્ષમતા બતાવવાની તક મળે તે પહેલા જ બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.
16 ઓક્ટોબરથી ગ્રુપ સ્ટેજ મેચો સાથે T20 વર્લ્ડકપનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ પહેલા ભારત ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે મેચ રમવાનું છે. માટે એશિયા કપ પહેલા ભારતની વર્લ્ડકપ માટેની ટીમ નિશ્ચિત થઈ જાય તે ઘણું જ જરુરી છે. સતત ટીમમાં કારણ વગર કરવામાં આવતા બદલાવ પણ ચર્ચાનો વિષય રહ્યા છે, જે આગામી સમયમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.