મુરલી વિજયે પોતાના ટ્વિટર પેજ પર જણાવ્યું હતું કે, હું આજે તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. 2002થી 2018ના વર્ષો મારી જીંદગીના સૌથી શાનદાર વર્ષો રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત રહી છે. મને તક આપવા માટે હું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI), તામિલનાડુ ક્રિકેટ એસોસિયેશન (TNCA), ચેન્નઈ સુપર કિંગ્સ અને ચેમ્પ્લાસ્ટ સેનમરનો આભાર માનું છું.
મારા તમામ સાથી ખેલાડીઓ, કોચ, મેન્ટર્સ અને સપોર્ટ સ્ટાફને હું કહેવા ઈચ્છું છું કે હું નસીબદાર છું કે તમારા બધાની સાથે રમી શક્યો અને મારા સપનાને સાકાર કરવામાં મારી મદદ કરવા બદલ હું તમારા તમામ લોકોનો આભાર માનું છું. આંતરરાષ્ટ્રીય સ્તરે મારા સારા અને ખરાબ સમયમાં મારો સપોર્ટ કરનારા ક્રિકેટપ્રેમીઓનો પણ હું આભાર માનું છું. તમારા બધા સાથએ પસાર કરેલી ક્ષણો અને તમારા સપોર્ટને હું આજીવન યાદ રાખીશ અને તે હંમેશા મારી પ્રેરણાનો સ્ત્રોત રહેશે, તેમ મુરલી વિજય જણાવ્યું હતું.
મુરલી વિજયની કારકિર્દી
મુરલી વિજયે ભારત માટે 61 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 38.28ની સરેરાશ સાથે 3982 રન નોંધાવ્યા છે. જેમાં 12 સદી અને 15 અડધી સદી સામેલ છે. મુરલી વિજયે ભારત માટે સાત વન-ડે અને નવ ટી20 મેચ પણ રમી છે. મુરલી વિજયે 2008માં ભારત માટે ડેબ્યુ કર્યું હતું જ્યારે 2018માં તેણે પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી હતી. 38 વર્ષીય મુરલી વિજયની ગણના ટીમ ઈન્ડિયાના સ્ટાઈલ ઓપનરમાં થાય છે. મુરલી વિજયે આઈપીએલમાં 106 મેચ રમી છે જેમાં તેણે 2619 રન નોંધાવ્યા છે. આઈપીએલમાં તેણે બે સદી ફટકારી છે. આઈપીએલમાં મુરલી વિજય ચેન્નઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ માટે રમી ચૂક્યો છે.