લોકેશ રાહુલ ઉપરાંત ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને બેટર શ્રેયસ ઐય્યરનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને ખેલાડીઓ પણ રાહુલની જેમ ઈજાગ્રસ્ત હોવાના કારણે ટીમની બહાર હતા. જોકે, બુમરાહ અને ઐય્યર બંને ફિટ છે જ્યારે રાહુલને નિગલની સમસ્યા છે. અજીત અગરકરે જણાવ્યું હતું કે, રાહુલની અગાઉની ઈજા સારી થઈ ગઈ છે પરંતુ હાલમાં તેને નિગલ છે. તેથી જ સંજૂ સેમસનને બેકઅપ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે. અમે આશા રાખી રહ્યા છીએ કે એશિયા કપની શરૂઆતમાં નહીં તો પણ બીજી કે ત્રીજી મેચમાં તે ફિટ થઈ જાય. જ્યારે ઐય્યર એકદમ ફિટ છે.
કેપ્ટન રોહિત શર્માએ ચોથા ક્રમના બેટ્સમેન અંગે જણાવ્યું હતું કે, અમારી પાસે એવા ખેલાડીઓ છે જે ચોથા ક્રમે બેટિંગ કરી શકે છે. કમનસીબે શ્રેયસ ઐય્યર ઈજાગ્રસ્ત હોવાના કારણે અમારે બીજા ખેલાડીઓનો વિકલ્પ અપનાવવો પડ્યો હતો. નોંધનીય છે કે ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પણ ફિટ થઈ ગયો છે અને તે આયર્લેન્ડ સામેની ટી20 સીરિઝમાં રમી રહ્યો છે.
30 ઓગસ્ટથી શરૂ થશે એશિયા કપ
એશિયા કપની શરૂઆત પાકિસ્તાન અને નેપાળ વચ્ચેના મુકાબલાથી થશે. આ મુકાબલો 30 ઓગસ્ટે મુલતાનમાં રમાશે. જ્યારે ભારતીય ટીમ તેની તમામ મેચો શ્રીલંકામાં રમશે. એશિયા કપમાં ભારતના અભિયાનની શરૂઆત બીજી સપ્ટેમ્બરથી થશે જેમાં રોહિત શર્માની ટીમ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
એશિયા કપમાં ભારત, પાકિસ્તાન અને નેપાળને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ગ્રુપ-બીમાં છે. આ બંને ગ્રુપમાંથી ટોચની બે-બે ટીમો સુપર 4 સ્ટેજમાં જશે. ટુર્નામેન્ટમાં કુલ 13 મેચ રમાશે જેમાંથી ચાર મેચની યજમાની પાકિસ્તાન અને નવ મેચની યજમાની શ્રીલંકા કરશે. ટુર્નામેન્ટની ફાઈનલ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે.