કર્ણાટક ગોલ્ફ એસોસિએશનના એક કાર્યક્રમ દરમિયાન કપિલે કહ્યું હતું કે મને ખબર નથી કે શું થશે. તેમણે (બીસીસીઆઈ) હજુ સુધી વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી નથી. ભારત હંમેશા ટુર્નામેન્ટમાં ફેવરિટ તરીકે પ્રવેશ કરે છે અને લાંબા સમયથી આવું રહ્યું છે. તે બધું તેના પર નિર્ભર કરે છે કે ટીમ ચારે બાજુથી અપેક્ષાઓના દબાણનો સામનો કેવી રીતે કરે છે. આપણે ઘરઆંગણે વર્લ્ડ કપ જીત્યો છે અને મને ખાતરી છે કે ટીમમાં જેને પણ પસંદ કરવામાં આવશે, તે ફરીથી તે કરી શકશે. વર્લ્ડ કપ ચાર વર્ષે રમાય છે અને મને આશા છે કે ખેલાડીઓ સંપૂર્ણ રીતે તૈયાર છે.
કપિલે કહ્યું હતું કે, આ સમયે ક્રિકેટના વ્યસ્ત શેડ્યૂલને ધ્યાનમાં રાખીને વર્કલોડ અને ઈજાના મેનેજમેન્ટને મહત્વ આપવું જોઈએ. 1983માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવે કહ્યું હતું કે, અમારો સમય અલગ હતો, અમે ભાગ્યે જ આટલું ક્રિકેટ રમ્યા હતા. આ ખેલાડીઓ છેલ્લા 10 મહિનાથી ક્રિકેટ રમી રહ્યા છે. તેથી જ ઈજાઓથી શરીરનું મેનેજમેન્ટ કરવું મહત્વપૂર્ણ છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે અને તેમને ફિટનેસ જાળવવા માટે વ્યક્તિગત યોજનાઓની જરૂર હોય છે.
ભારતીય ટીમે 1983માં તે સમયની સૌથી ખતરનાક ગણાતી અને બે વર્લ્ડ કપ વિજેતા વેસ્ટ ઈન્ડિઝ ટીમને ફાઈનલમાં હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. વર્તમાનમાં વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટની હાલત અત્યંત કંગાળ થઈ ગઈ છે. ટીમ આ વર્ષે વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ પણ થઈ શકી નથી. કપિલ દેવે જોકે આશા વ્યક્ત કરી હતી કે કેરેબિયન ટીમ ટૂંક સમયમાં તેમના જૂના ગૌરવના દિવસો પાછી મેળવશે. કપિલે કહ્યું હતું કે, વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપ નથી રમી રહી તે જોઈને દુઃખ થાય છે. તેના વિના વન-ડે ટુર્નામેન્ટ (વર્લ્ડ કપ)ની કલ્પના કરવી મુશ્કેલ છે. વેસ્ટ ઈન્ડિઝે ક્રિકેટને મહાન ખેલાડીઓ આપ્યા છે. આશા છે કે તેઓ પુનરાગમન કરશે.