ipl 2023 final, IPL: ધોનીસેના પાંચમું ટાઈટલ જીતશે કે ગુજરાત સળંગ બીજી વખત ચેમ્પિયન બનશે? આજે થશે ફેંસલો - ipl 2023 final no clear favourites as chennai super kings vie for supremacy against gujarat titans

ipl 2023 final, IPL: ધોનીસેના પાંચમું ટાઈટલ જીતશે કે ગુજરાત સળંગ બીજી વખત ચેમ્પિયન બનશે? આજે થશે ફેંસલો – ipl 2023 final no clear favourites as chennai super kings vie for supremacy against gujarat titans


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 28મી મે રવિવારે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023ની ફાઈનલ રમાશે. રસપ્રદ વાત એ છે કે આઈપીએલ-2023ની પ્રથમ મેચ પણ ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રમાશે. ચેન્નઈ 10મી વખત ફાઈનલમાં પહોંચ્યું છે જ્યારે ગુજરાતની ટીમ સળંગ બીજી વખત ફાઈનલમાં રમશે. જ્યાં ધોનીસેના સામે તે ટાઈટલને બચાવવા મેદાનમાં ઉતરશે. ગુજરાતની ટીમે ગત સિઝન દ્વારા આઈપીએલમાં પદાર્પણ કર્યું હતું અને હાર્દિક પંડ્યાની આગેવાનીમાં પ્રથમ સિઝનમાં જ તે ચેમ્પિયન બન્યું હતું. ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રાત્રે 7.30 કલાકે ફાઈનલનો પ્રારંભ થશે. જોકે, બંને ટીમનું ફોર્મ અને પ્રદર્શન જોતાં કોઈ ટીમને ફેવરિટ કહેવી મુશ્કેલ છે. પરંતુ પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નઈએ ગુજરાતને પરાજય આપ્યો હતો.

ચેન્નઈ ટાઈટલ જીતીને ધોનીને યાદગાર વિદાય આપવા ઈચ્છશે!
આઈપીએલ-2023ની શરૂઆત થઈ ત્યારથી જ અટકળો ચાલી રહી છે કે આ સિઝન ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની અંતિમ સિઝન હોઈ શકે છે. જો આવું હશે તો ચેન્નઈ પાંચમું ટાઈટલ જીતીને પોતાના ચેમ્પિયન કેપ્ટનને યાદગાર વિદાય આપવા ઈચ્છશે. 2008માં આઈપીએલનો પ્રારંભ થયો ત્યારથી જ ધોની ચેન્નઈનો કેપ્ટન રહ્યો છે. ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ચેન્નઈને આઈપીએલની સૌથી સફળ ટીમ બનાવી છે. તેની આગેવાનીમાં ચેન્નઈ ચાર વખત ચેમ્પિયન બન્યું છે જ્યાર 10 વખત ફાઈનલમાં પહોંચ્યું છે. ચેન્નઈથી આગળ ફક્ત મુંબઈ ઈન્ડિયન્સ ટીમ છે જેણે પાંચ ટાઈટલ જીત્યા છે પરંતુ તેનું પ્રદર્શન સાતત્યપૂર્ણ રહ્યું નથી. જ્યારે 10મી વખત ફાઈનલમાં પહોંચનારી ચેન્નઈનું પ્રદર્શન કેટલું સાતત્યપૂર્ણ રહ્યું છે તેનો ખ્યાલ આવે છે.

શુભમન ગિલને કાબૂમાં રાખવાનો પડકાર
વર્તમાન સિઝનમાં ગુજરાતની સફળતામાં યુવાન ઓપનર શુભમન ગિલનો ફાળો ઘણો મહત્વનો રહ્યો છે. તેણે જે રીતે બેટિંગ કરી છે તેનાથી ક્રિકેટ નિષ્ણાતો પ્રભાવિત થયા છે. તેમાં પણ બીજી ક્વોલિફાયરમાં તેણે મુંબઈના બોલર્સની જે રીતે ધોલાઈ કરી હતી તે જોઈને ચોક્કસથી ચેન્નઈની ચિંતા વધી ગઈ હશે. શુભમન ગિલે છેલ્લી ચાર મેચમાં ત્રણ સદી ફટકારી છે. હાલમાં તે ઓરેન્જ કેપ હોલ્ડર છે. તેથી ચેન્નઈએ ગુજરાતને મોટો સ્કોર કરતાં રોકવું હશે તો શુભમન ગિલને સસ્તામાં આઉટ કરવો પડશે. જોકે, આ સિવાય પણ ગુજરાત પાસે કેપ્ટન હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવાટિયા અને રાશિદ ખાન જેવા આક્રમક બેટર છે. પરંતુ ગિલ ઘાતક ફોર્મમાં રમી રહ્યો છે અને તેણે વર્તમાન સિઝનમાં 851 રન ફટકાર્યા છે.

શમી, રાશિદ ખાન અને મોહિતની ત્રીપુટીથી ધોનીસેનાએ ચેતવું પડશે
ગુજરાતનું બોલિંગ આક્રમણ પણ મજબૂત છે. ટીમ પાસે ઝડપી બોલર મોહમ્મદ શમીનો અનુભવ છે. જ્યારે રાશિદ ખાન જેવો મેચની બાજી પલટી શકે તેવો સ્પિનર પણ છે. જ્યારે મુંબઈ સામે ઘાતક બોલિંગ પ્રદર્શન કરીને મોહિત શર્માએ પણ પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે. વર્તમાન આઈપીએલમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલર્સમાં ટોપ-3માં આ ત્રણ બોલર સામેલ છે. શમીએ 28 વિકેટ ઝડપી છે. જ્યારે રાશિદ ખાને 27 અને મોહિત શર્માએ 24 વિકેટ પોતાના નામે કરી છે. આમ ચેન્નઈના બેટર્સ સામે આ ત્રણેય બોલર્સનો સામનો કરવાનો પડકાર રહેશે.

કોનવે અને શિવમ દૂબે બની શકે છે ગુજરાત માટે મુશ્કેલી
ગુજરાત પાસે મજબૂત બેટિંગ લાઈનઅપ છે તો સામે તરફ ચેન્નઈ પાસે પણ આક્રમક બેટર્સની કમી નથી. અજિંક્ય રહાણેએ આ વખતે તોફાની બેટિંગ કરીને તમામ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. જ્યારે શિવમ દૂબેએ પણ તોફાની અંદાજમાં બેટિંગ કરી છે. આ ઉપરાંત ડેવન કોનવે ગુજરાત માટે સૌથી મોટી મુશ્કેલી બની શકે છે. તેણે 15 મેચમાં છ અડધી સદી સાથે 625 રન ફટકાર્યા છે. ઋતુરાજ ગાયકવાડે પણ 564 રન ફટકાર્યા છે. આમ આ બેટર્સ સામે ગુજરાતે વધારે સાવધ રહેવું પડશે. ચેન્નઈની બોલિંગની વાત કરવામાં આવે તો શ્રીલંકન જોડી મથીશા પથિરાના અને મહીશ તિક્શનાએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. પથિરાનાએ 17 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત તુષાર દેશપાંડેએ 21 વિકેટ પોતાના નામે કરી છે. આમ બંને ટીમો ઘણી મજબૂત છે તેથી કઈ ટીમ ફેવરિટ છે તે કહી શકાય તેમ નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *