મોહમ્મદ સિરાજ અને કુલદીપ યદાવનો તરખાટ
ભારતે પ્રથમ દાવમાં 404 રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં બાંગ્લાદેશનો ધબડકો થયો હતો. ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને સ્પિનર કુલદીપ યાદવે ઝંઝાવાતી બોલિંગ કરી હતી. જેની સામે યજમાન બેટર્સ નિષ્ફળ રહ્યા હતા. સિરાજે બંને ઓપનરને સસ્તામાં આઉટ કરી દીધા હતા. નજમુલ હુસૈન શાંતો ખાતું ખોલાવી શક્યો ન હતો. જ્યારે ઝાકિર હસન 20 રન નોંધાવીને આઉટ થયો હતો. યાસિર અલી ચાર રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. લિટન દાસ અને મુશફિકુર રહિમ પણ વધારે સમય ટકી શક્યા ન હતા. લિટન દાસે 24 અને મુશફિકુર રહિમે 28 રન ફટકાર્યા હતા.
સુકાની સાકિબ અલ હસન પણ ફ્લોપ રહ્યો હતો. તેણે ત્રણ રન નોંધાવ્યા હતા. ભારતીય બોલર્સ સામે બાંગ્લાદેશનો એક પણ બેટર વધારે સમય ટકી શક્યો ન હતો. યજમાન ટીમનો ધબડકો થયો હતો. ભારત માટે કુલદીપ યાદવે 10 ઓવરમાં 33 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે 9 ઓવરમાં 14 રન આપીને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. ઝડપી બોલર ઉમેશ યાદવને એક સફળતા મળી હતી.
પૂજારા, ઐય્યર અને અશ્વિનની અડધી સદી, ભારતનો જંગી સ્કોર
બુધવારે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસના અંતે ભારતે છ વિકેટે 278 રનનો સ્કોર નોંધાવ્યો હતો. શ્રેયસ ઐય્યર 82 રને રમી રહ્યો હતો. જોકે, ઐય્યર બીજા દિવસની શરૂઆતમાં જ આઉટ થઈ ગયો હતો. તે પોતાના સ્કોરના વધારે રન ઉમેરી શક્યો ન હતો. ઐય્યર 192 બોલમાં 10 ચોગ્ગા સાથે 86 રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, બાદમાં રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવે મહત્વની બેટિંગ કરીને ભારતનો સ્કોર 400 રન સુધી પહોંચાડ્યો હતો. જેમાં અશ્વિને અડધી સદી ફટકારી હતી. અશ્વિને 113 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સર સાથે 58 રન ફટકાર્યા હતા. જ્યારે કુલદીપ યાદવે 40 રનનું યોગદાન આપ્યું હતું. અગાઉ પ્રથમ દિવસે ચેતેશ્વર પૂજારાએ 90 રનની ઈનિંગ્સ રમી હતી. બાંગ્લાદેશ માટે તાઈજુલ ઈસ્લામ અને મેંહદી હસન મિરાજે ચાર-ચાર વિકેટ ખેરવી હતી. જ્યારે ઈબાદત હુસૈન અને ખાલીદ અહેમદને એક-એક સફળતા મળી હતી.