એશિયા કપ અને તે પછી પણ ભારતીય ટીમમાં સતત ફેરફારો કરવાનું ચાલુ રાખવામાં આવ્યું છે, વર્લ્ડકપ માટેની ટીમ તૈયાર હોવાનું કહેવાતું હોવા છતાં કારણ વગર કેટલાક ફેરફારો થતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. જેમાં બોલિંગ ડિપાર્ટમેન્ટ, બેટિંગ ઓર્ડર, કિપર સહિતના મુદ્દાઓ ચર્ચામાં છે. પરંતુ હવે વર્લ્ડકપની તારીખો એકદમ નજીક છે ત્યારે આ સતત કરવામાં આવતા ફેરફારો પર બ્રેક મારવાની જરુર હોવાનું માનવામાં આવે છે.
નંબર-1 ગણાતી ભારતીય ટીમમાં બોલર્સ મેચ બચાવવામાં કે રન રોકવામાં સફળ ના થઈ રહ્યા હોવાનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે. એક તરફ કેપ્ટન રોહિત શર્મા સતત ખેલાડીઓનો અને ખાસ કરીને બોલર્સનો ઉત્સાહ વધે તેવા પ્રયાસ કરે છે પરંતુ તેનું નક્કર પરિણામ ક્યારે મળશે તેવી ચિંતા એક્સપર્ટ તથા ફેન્સને સતાવી રહી છે. આજની મેચથી ટીમમાં જસપ્રિત બુમરાહનું કમબેક થઈ રહ્યું છે, આવામાં હર્ષલ પટેલ અને જસપ્રિત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે તરખાટ મચાવી શકે છે.
જે સિનિયર બોલર્સની ધારથી ટીમો ફફડતી હતી તેઓ હાલ પોતાના ફોર્મ માટે ઝઝૂમી રહ્યા છે, ખાસ કરીને યુજવેન્દ્ર ચહલ અને ભૂવનેશ્વર કુમારની બોલિંગને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે, જ્યારે બેટ્સમેન તમારી લાઈનને ઓળખી ગયો હોય તો તેમાં ફેરફાર કરવાના બદલે સતત એ પ્રકારની બોલિંગથી ટીમને નુકસાન થઈ રહ્યું હોવાની વાત એક્સપર્ટ્સ સ્વીકારી રહ્યા છે. હવે આજની મેચમાં જસપ્રીત બુમરાહ અને દીપક ચહર એન્ટ્રી કરીને ભારતના બોલિંગ ડિપાર્ટમેન્ટને મજબૂત કરવાના પ્રયાસ કરી શકે છે.
ભારત વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયા પછી સાઉથ આફ્રિકા સામે પણ રમવા માટે ઉતરવાનું છે, આ પહેલા વર્લ્ડકપ માટેની સ્થિર ટીમ નિશ્ચિત કરવી જરુરી બની ગયું છે. હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે પાછલી મેચમાં તરખાટ મચાવ્યો હતો, પરંતુ 19મી ઓવરમાં એશિયા કપ (પાકિસ્તાન અને શ્રીલંકા સામેની સુપર-4ની મેચો)નું પુનરાવર્તન થતા ભારતે મેચ ગુમાવી પડી હતી.