પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના તત્કાલિન અધ્યક્ષ રમીઝ રાજાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના આ વલણનો વિરોધ કર્યો હતો. રમીઝ રાજાએ તો ત્યાં સુધી ધમકી આપી દીધી હતી કે પાકિસ્તાન ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપ 2023નો બહિષ્કાર કરશે. જોકે, હવે પીસીબીમાં રમીઝ રાજાના સ્થાને નજમ સેઠી આવ્યા છે તેથી હકારાત્મક વિકાસ થઈ શકે છે. એશિયા કપ 2023માં છ ટીમો હશે જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને એક ક્વોલિફાયર ટીમને રમવાની તક મળશે.
ગત વર્ષે ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને એશિયા કપ પણ ટી20 ફોર્મેટમાં રમાયો હતો. જેમાં શ્રીલંકા ચેમ્પિયન બન્યું હતું. યુએઈમાં રમાયેલી ફાઈનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. ભારત આ વર્ષના અંતમાં વન-ડે વર્લ્ડ કપની યજમાની કરશે અને તેને ધ્યાનમાં રાખતાં જ આ વખતે એશિયા કપ પણ વન-ડે ફોર્મેટમાં રમાશે. બીસીસીઆઈ સચિવ અને એસીસી અધ્યક્ષ જય શાહે આગામી બે વર્ષ માટે કેલેન્ડર જારી કર્યું છે અને જણાવ્યું છે કે, આ કાર્યક્રમ આ રમતને નવી ઊંચાઈએ લઈ જવા માટે અમારા પ્રયાસો અને ઝનૂનને વ્યક્ત કરે છે. આ ક્રિકેટ માટે સારો સમય છે.
એસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા બે વર્ષની સાયકલ (2023-2024 વચ્ચે) દરમિયાન કુલ 145 વન-ડે અને ટી20 મેચ રમાશે. જેમાં 2023માં 75 અને 2024માં 70 મેચ રમાશે. આ ઉપરાંત કેલેન્ડરમાં ઈમર્જિંગ (અંડર-23) એશિયા કપનું પણ કમ બેક થયું છે. આ વર્ષે જુલાઈમાં મેન્સની આઠ ટીમોની ટુર્નામેન્ટ વન-ડે ફોર્મેટમાં રમાશે. આગામી વર્ષે ડિસેમ્બરમાં આ ટુર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. આ વર્ષે જૂનમાં રમાનારી વિમેન્સ ઈમર્જિંગ એશિયા કપ ટી20 ફોર્મેટમાં રમાશે જેમાં આઠ ટીમો ભાગ લેશે.