અર્જુને પોતાની પ્રથમ ઓવરમાં ફક્ત એક જ રન આપ્યો હતો જ્યારે પોતાની ત્રીજી ઓવર મેડન હતી. તેણે બાદમાં ડેથ ઓવર્સમાં બોલિંગ કરી હતી. અર્જુને પોતાની ઓવર્સમાં તિલક, વિકેટકીપર પ્રતિક રેડ્ડી, બુદ્ધિ રાહુલ અને રવિ તેજાની વિકેટ ઝડપી હતી. અર્જુને પોતાની ચાર ઓવર્સમાં 17 ડોટ બોલ કર્યા હતા અને તિલક તથા પ્રતિકની રન ગતિને ધીમી કરી હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અર્જુન 11 ઓક્ટોબરે ત્રિપુરા વિરુદ્ધ પ્રથમ મેચ રમી હતી જેમાં તે એક પણ વિકેટ ઝડપી શક્યો ન હતો. જોકે, તેણે મણિપુર સામે રમાયેલી મેચમાં બે વિકેટ ઝડપી હતી.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અગાઉ અર્જુન તેંડુલકર તેની ટ્રેનિંગને લઈને ચર્ચામાં આવ્યો હતો. જોકે, તેની આ વાત એટલા માટે ચર્ચામાં આવી હતી કેમ કે તેણે ભારતના સ્ટાર ઓલ-રાઉન્ડર રહેલા યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ પાસે ટ્રેનિંગ લીધી હતી. તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
ડોમેસ્ટિક ક્રિકેટમાં વધારે સ્પર્ધાત્મક મેચ રમવાની તક મળે તે માટે અર્જુન તેંડુલકર ગોવા ટીમ તરફથી રમી રહ્યો છે. અર્જુને 2020-21ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ફક્ત બે જ મેચ રમવા મળી હતી. ગોવા ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું હતું કે, રાજ્ય ક્રિકેટ એસોસિયેશને ડોમેસ્ટિક સિઝનમાં ગોવા ટીમનો ભાગ બનવા માટે અર્જુનને આમંત્રણ પાઠવ્યું હતું.