Asia Cup 2022, India vs Pakistan: પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે ટીમના એપ્રોચની આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું પાવરપ્લેમાં વધારે ડોટ બોલ રમવાથી ટીમને ફાયદો થવાનો નથી. તેણે ટીમની પસંદગી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે બાબર આઝમે ઓપનિંગના બદલે ત્રીજા ક્રમે આવવું જોઈએ.
હાઈલાઈટ્સ:
- એશિયા કપમાં ભારત સામે પાકિસ્તાની ટીમ 19.5 ઓવરમાં 147 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી
- હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાની શાનદાર બેટિંગની મદદથી ભારતે પાંચ વિકેટે વિજય નોંધાવ્યો હતો
- ભારત સામે પરાજય બાદ ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે પાકિસ્તાની ટીમની ઝાટકણી કાઢી
અખ્તરે ટીમના એપ્રોચની આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું પાવરપ્લેમાં વધારે ડોટ બોલ રમવાથી ટીમને ફાયદો થવાનો નથી. તેણે ટીમની પસંદગી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે બાબર આઝમે ઓપનિંગના બદલે ત્રીજા ક્રમે આવવું જોઈએ. પોતાની યુટ્યુબ ચેનલ પર અખ્તરે કહ્યું હતું કે, જો રિઝવાન વધારે ઝડપથી નહીં રમે તો શું થશે? પ્રથમ છ ઓવરમાં 19 ડોટ બોલ હતા. જો તમે આટલા બધા ડોટ બોલ રમશો તો તમે ચોક્કસથી મુશ્કેલીમાં મૂકાશો.
બંને ટીમના સુકાનીએ ખરાબ પસંદગી કરી હતી. બંનેએ ખોટી ટીમ પસંદ કરી હતી. ભારતે રિશભ પંતને પડતો મૂક્યો હતો જ્યારે પાકિસ્તાને ચોથા ક્રમે ઈફ્તિખાર અહેમદને સામેલ કર્યો હતો. હું ઈફ્તિખાર કે કોઈ ખેલાડીનું અપમાન નથી કરતો પરંતુ મેં અગાઉ પણ ઘણી બધી વખત કહ્યું છે કે બાબર આઝમે ઓપનિંગમાં આવવું જોઈએ નહીં. બાબરે ત્રીજા ક્રમે આવવું જોઈએ અને અંત સુધી ટકી રહેવું જોઈએ, તેમ રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતા ભૂતપૂર્વ બોલરે જણાવ્યું હતું.
નોંધનીય છે કે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન ટી20માં છેલ્લા કેટલાક સમયથી ઓપનિંગ કરી રહ્યા છે અને તેઓ મજબૂત જોડીદાર ગણવામાં આવે છે. ગત વર્ષે રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં બાબર આઝમ અને રિઝવાને ભારત સામેની મેચમાં 152 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. જેની મદદથી પાકિસ્તાને વર્લ્ડ કપ મેચમાં ભારત સામે તેનો પ્રથમ વિજય નોંધાવ્યો હતો.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ