નામ જાહેર ન કરવાની શરતે બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, જાડેજાના જમણા ઘૂંટણની ઈજા થોડી ગંભીર છે. તેના ઘૂંટણ પર મોટી સર્જરી કરવામાં આવી શકે છે. જેના કારણે તેને અચોક્કસ મુદત માટે ક્રિકેટથી દૂર રહેવું પડી શકે છે. હાલના તબક્કે એનસીએની મેડિકલ ટીમના એસેસમેન્ટમાંથી પસાર થાય છે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારે પરત ફરશે તે કોઈ કહી શકે તેમ નથી.
જાડેજાનો કેસ એન્ટીરિયર ક્રુસિયેટ લિગામેન્ટ (ACL)નો છે તે હાલ કહી શકાય તેમ નથી પરંતુ આ પ્રકારની ઈજામાં સાજા થવામાં છ મહિના જેટલો સમય લાગે છે. પરંતુ તે ત્રણ મહિના સુધી તો ક્રિકેટના મેદાનમાં પરત ફરે તેવી શક્યા ઓછી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લાંબા સમયથી જાડેજાના ઘૂંટણમાં સમસ્યા હી હતી. છેલ્લા એક વર્ષ પર નજર કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે તેણે પોતાને બેટિંગ ઓલ-રાઉન્ડરમાં પરિવર્તિત કર્યો હતો અને લેફ્ટ-આર્મ સ્પિન બોલિંગને તેણે બીજા ક્રમે રાખી હતી.
માનવામાં આવી રહ્યું છે કે બોલિંગ વખતે તેનો ફ્રન્ટ ફૂટ લેન્ડ કરતી વખતે તેના જમણા ઘૂંટણ પર વજન આવવાના કારણે તેના પર અસર પડી છે. પોતાની સીનિયર કારકિર્દી (ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ) જેમાં ડોમેસ્ટિક ફર્સ્ટ ક્લાસ, લિસ્ટ-એ અને આઈપીએલની મેચ સહિત જાડેજાએ તમામ ફોર્મેટમાં મળીને અંદાજીત 630 મેચમાં 7000થી વધારે ઓવર કરી છે જેમાં તેણે 897 વિકેટ ઝડપી છે. તેમાં નેટમાં કરેલી બોલિંગ અને તેણે નોંધાવેલા 13,000 રનનો ઉમેરો કરવામાં આવે તો તેની પરિસ્થિતિ વધારે ખરાબ થાય છે. તેથી ક્રિકેટના મેદાનમાં પાછા ફરવામાં તેને નોંધપાત્ર સમય લાગશે.