પાકિસ્તાન વિરુદ્ધ મહત્વની મેચ પહેલા રોહિત શર્માને સાથી ઓપનર અંગે પૂછવામાં આવ્યું હતું અને તેના જવાબમાં ભારતીય સુકાનીએ જે જવાબ આપ્યો હતો તે સાંભળીને પત્રકારો હસી પડ્યા હતા. લોકેશ રાહુલે કમબેક કર્યા બાદ આશા રાખવામાં આવી રહી છે કે રોહિત સાથે તે ઓપનિંગમાં આવશે. 29 વર્ષીય રાહુલ 2022માં ઈજા અને કોરોનાના કારણે વધારે ક્રિકેટ રમ્યો નથી.
કાલે ટોસ વખતે જોઈ લેજો
રિશભ પંતે હાલમાં ભારત માટે ઓપનિંગ કર્યું હતું. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવને પણ આ સ્થાને અજમાવવામાં આવ્યો હતો. જોકે, ભારીય સુકાની હાઈવોલ્ટેજ મેચ અગાઉ હરીફ ટીમને કોઈ જાણકારી આપવાના મૂડમાં ન હતો. પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાની પત્રકારે એક પ્રશ્ન પૂછ્યો હતો કે શું વિરાટ કોહલીને ઓપનર તરીકે ઉપયોગમાં લેવામાં આવી શકે છે, તે અંગે રોહિત શર્માએ જવાબ આપ્યો હતો કે, તમે કાલે જોઈ લેજો, ટોસ બાદ કોણ આવશે, થોડું સીક્રેટ અમને પણ રાખવા દો યાર.
વિરાટ કોહલી અને દિનેશ કાર્તિક અંગે બોલ્યો રોહિત શર્મા
રોહિત શર્માએ વિરાટ કોહલી અંગે પણ વાતચીત કરી હતી. રોહિતે કહ્યું હતું કે, કોહલી નેટમાં સારી બેટિંગ કરી રહ્યો છે. મને નથી લાગી રહ્યું કે કોહલી વધારે પ્રયાસ કરી રહ્યો છે, તે એવો જ છે જેવો પહેલા હતો. તેણે એક મહિનાનો બ્રેક લીધો હતો અને તેથી તે એકદમ ફ્રેશ થઈને પરત ફર્યો છે. જ્યારે દિનેશ કાર્તિક અંગે રોહિતનું માનવું છે કે તેણે ક્યારેય ટીમને નિરાશ કરી નથી. પુનરાગમન પહેલા પણ તેણે શાદારન ઈનિંગ્સ રમીને વિજય અપાવ્યા હતા.