26 ડિસેમ્બરે જાડેજાએ પત્ની રિવાબા જાડેજાનો એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે આરએસએસ અંગે જણાવી રહ્યા હતા. ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત ચૂંટાયેલા રિવાબાએ આરએસએસની દેશભક્તિ, રાષ્ટ્રવાદ, બલિદાન અને એકતાની પ્રશંસા કરી હતી. મીડિયા અહેવાલ પ્રમાણે જાડેજાએ વિડીયો શેર કરતા લખ્યું હતું કે આરએસએસ અંગે તમારું જ્ઞાન જોઈને ઘણું સારું લાગ્યું. એક એવું સંગઠન જે ભારતીય સંસ્કૃતિ અને આપણા સમાજના મૂલ્યોને જાળવી રાખવાના આદર્શોને પ્રોત્સાહન આપે છે. તમારું જ્ઞાન અને તમારી આકરી મહેનત તમને અન્ય લોકોથી અલગ પાડે છે.
જોકે, પત્નીની પ્રશંસા કરવી જાડેજાને ભારે પડી ગયું હતું અને તે સોશિયલ મીડિયા પર ટ્રોલનો ભોગ બન્યો હતો. એક યુઝર્સે પૂછ્યું હતું કે, તેઓ શા માટે રાજકારણમાં આવ્યા છે અને બીસીસીઆઈએ ભાજપ અને આરએસએસ સામે ઘૂંટણ ટેકવી દીધા છે? કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ એક ન્યૂઝ ચેનલની ડિબેટમાં કહ્યું હતું કે ઈડી અને ઈનકમ ટેક્સના ડરથી પ્રત્યેક વ્યક્તિ ભલે તે ખેલાડી હોય કે પછી એક્ટર, ભાજપને ખુશ કરવાના પ્રયાસમાં લાગ્યા છે.
પરંતુ ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ રવિન્દ્ર જાડેજાનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે તેમની એકમાત્ર ‘ભૂલ’ એ છે કે તેમણે પોતાની પત્નીનું સમર્થન કર્યું છે અને તેની પ્રશંસા કરી છે. તેમણે એ સત્યનું સમર્થન કર્યું છે કે આરએસએસ સામાજિક મૂલ્યોને જાળવી રાખે છે. પૂનાવાલાએ કહ્યું હતું કે, આ એ સંગઠન છે જે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. તે વાત કહીને હવે તથાકથિત ઉદારવાદીઓ ધર્મનિરપેક્ષ ઈકો-સિસ્ટમને તેમણે એટલા નારાજ કર્યા છે કે કોંગ્રેસ પાર્ટીના રાશિદ અલ્વીએ નેશનલ ટીવી પર જાડેજાની ટીકા કરી છે. શું આરએસએસ અંગે બોલવું ગુનો છે?