ઓસ્ટ્રેલિયાએ ભારતની સરખામણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 197ન રન નોંધાવ્યા હતા અને 88 રનની સરસાઈ મેળવી હતી. બીજા દાવમાં પણ ભારતીય બેટર્સ નિષ્ફળ રહ્યા હતા અને ટીમ 163 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેતેશ્વર પૂજારાના 59 રનને બાદ કરતા એક પણ બેટર નાથન લાયનની સ્પિન બોલિંગ સામે ટકી શક્યો ન હતો. નાથન લાયને બીજા દાવમાં આઠ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા સામે 76 રનનો લક્ષ્યાંક આવ્યો હતો જે તેણે એક વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો.
રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ હાર વધુ પડતા આત્મવિશ્વાસના કારણે થઈ છે, જ્યાં તમે વસ્તુઓને હળવાશથી લો છો. તમે તક ચૂકી ગયા હતા જેના કારણે તમે મેચમાં પાછળ રહી ગયા હતા. મને લાગે છે કે આ બધી બાબતોનું સંયોજન હતું જ્યારે તમે ખરેખર તે વાત પર ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવથી જ ભારતને દબાણમાં રાખ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન મેથ્યુ હેડનનું માનવું હતું કે ભારતીય ખેલાડીઓ ટીમમાં તેમની જગ્યા માટે રમી રહ્યા છે. લોકેશ રાહુલ ટીમમાં ફેરફારને કારણે બહાર થઈ ગયો છે. હેડને ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડની પણ પ્રશંસા કરી હતી,જેણે ઓસ્ટ્રેલિયાના 76 રનના ચેઝમાં અણનમ 49 રન નોંધાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સતત ફ્લોપ જવાના કારણે લોકેશ રાહુલને ત્રીજી ટેસ્ટમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. તેના સ્થાને શુભમન ગિલને ટીમમાં સામેલ કરાયો હતો. જોકે, ગિલ પણ પ્રભાવશાળી પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈ
ઈન્દોર ટેસ્ટ જીતવાની સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. જ્યારે ભારતે ક્વોલિફાઈ થવા માટે અમદાવાદ ખાતે રમાનારી સીરિઝની અંતિમ ટેસ્ટ મેચ જીતવી પડશે. જો ભારત ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ જશે તો તે સળંગ બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચશે. ગત સિઝનમાં પણ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી હતી પરંતુ ફાઈનલમાં તેને ન્યૂઝીલેન્ડ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ટીમ બની હતી.