આ મેચમાં ધોનીની બેટિંગ તો ન હતી આવી પરતું જ્યારે પ્રેઝન્ટેશન માટે ડગઆઉટમાંથી બહાર આવ્યો ત્યારે તેના ચાહકોએ તેનું અભિવાદન કર્યું હતું. ધોનીએ જણાવ્યું હતું કે આ મારી કારકિર્દીનો અંતિમ તબક્કો છે. બે વર્ષ બાદ ચેન્નઈના ચાહકો સ્ટેડિયમમાં આવીને મેચ જોઈ શક્યા છે. તે જોઈને ઘણો આનંદ થઈ રહ્યો છે. ક્રિકેટ પ્રેમીઓએ અમને અદ્દભુત પ્રેમ આપ્યો છે.
ધોનીએ શ્રીલંકાના યુવાન બોલર મથીશા પથિરાનાની પ્રશંસા કરી હતી જેણે ચાર ઓવરમાં અદ્દભુત પ્રદર્શન કર્યું હતું અને બે વિકેટ ઝડપી હતી. તેણે 42 રન આપી દીધા હતા પરંતુ ધોનીએ તેના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. ધોનીએ જણાવ્યું હતું કે સ્પિનર્સનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું હતું. જેમાં ખાસ કરીને પથિરાનાએ અદ્દભુત બોલિંગ કરી હતી.
ચેન્નઈ સામે 135 રનનો લક્ષ્યાંક હતો અને તેણે 18.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને તેને પાર પાડ્યો હતો. જોકે, ધોનીની ટીમ આ લક્ષ્યાંકને થોડો વહેલો પાર પાડી શકતી હતી પરંતુ ટીમ આક્રમક રમવાના બદલે સાવચેતીપૂર્વક રમી હતી. ધોનીએ જણાવ્યું હતું કે, મેચ જીતવાનો ઘણો આનંદ થયો. અમારી યોજના ઘણી સરળ છે. પ્રત્યેક મેચમાં કંઈ વધારે બદલાતું નથી. પાવરપ્લેમાં સારું પ્રદર્શન કરીને બોલર્સને દબાણમાં રાખવાના. મેચનો સ્કોર કેટલો છે તે જોવાના બદલે અમે આ પ્રમાણે જ બેટિંગ કરીએ છીએ.
નોંધનીય છે કે હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ છ મેચ રમી છે. જેમાંથી ચાર મેચમાં તેનો વિજય થયો છે અને બે મેચમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ચેન્નઈની ટીમ આઠ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. પ્રથમ સ્થાને રહેલી રાજસ્થાન રોયલ્સ અને બીજા ક્રમે રહેલી લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ પાસે પણ આઠ-આઠ પોઈન્ટ છે. પરંતુ આ બંને ટીમોની રન રેટ ચેન્નઈ કરતા સારી છે. ચેન્નઈનો આગામી મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ઈડન ગાર્ડન્સમાં રમાશે.