નવી દિલ્હીઃ એક ખેલાડીને લાંબા સમય પછી T20માં એન્ટ્રી મળી પરંતુ સિરીઝ શરુ થાય તેના થોડા દિવસ પહેલા જ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફરી ટીમમાંથી બહાર થવાનો વારો આવ્યો છે. આ પછી આ ખેલાડીના બહાર થવાથી ટીમમાં પરત ફરવાની રાહ જોઈને બેઠેલા ભારતીય ક્રિકેટરને ચાન્સ મળ્યો છે. મોહમ્મદ શમીની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં જગ્યા મળી છે. શમી કોરોના પોઝિટિવ આવતા રિપ્લેસમેન્ટમાં ઉમેશ યાદવને બોલાવવામાં આવ્યો છે, જે પોતે ઈન્જરી પછી ટીમમાં કમબેક કરવા માટે રાહ જોઈ રહ્યો હતો. 20 સપ્ટેમ્બરથી મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે 3 મેચોની T20 સીરિઝ રમાવાની છે.
ભારત માટે 43 મહિના પછી T20 રમવાનો ચાન્સ
34 વર્ષના પેસર ઉમેશ યાદવે 24 ફેબ્રુઆરી 2019માં એટલે કે સાડા ત્રણ વર્ષ પહેલા ભારત માટે અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. જો તેને પ્લેઈંગ 11માં તક મળે છે તો મેન ઈન બ્લુ માટે 43 મહિલા પછી T20 મેચ રમશે. જમોડી ફાસ્ટ બોલરની સ્ક્વોડમાં એન્ટ્રી અંગેની માહિતી હજુ BCCI દ્વારા આપવામાં આવી નથી. પરંતુ મીડિયા સૂત્રો દ્વારા આ અંગે માહિતી મળી રહી છે કે સવારે 7 વાગ્યે ઉમેશ યાદવ ચંદીગઢ એરપોર્ટ પર જોવા મળ્યો હતો અને ત્યાંથી તે સીદો ટીમ હોટલ પહોંચ્યો હતો.
NCAમાં રીહેબ પર હતો ઉમેશ યાદવ
ભારત તરફથી 52 ટેસ્ટ મેચમાં 158 વિકેટ લેનારા અને 72 વનડેમાં 106 વિકેટ લેનારા ઉમેશ યાદવ શોર્ટ ફોર્મેટમાંથી લાંબા સમયથી બહાર છે. તેણે અગાઉ એક ઈન્ટરવ્યુમાં 2023ના વર્લ્ડકપમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ માટે તેના દ્વારા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે, જેમાં તે લિસ્ટ A મેચ માટે પણ પસંદગી કરી હતી. ઈંગ્લિશ કાઉન્ટીમાં ગ્લોસ્ટરશર સામે મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થો હતો અને તેની સારવાર બેંગ્લુરુમાં આવેલા નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં સારવાર ચાલી રહી હતી.
શમીને કોરોના થવાની ખબર
ભારતીય ટીમની સાથે શમી માટે પણ આ સિરીઝ ઘણી જ મહત્વની હતી. શમીને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં રમીને કમબેકની તક મળી રહી હતી. શમી છેલ્લે પાછલા વર્ષે ભારતીય ટીમ માટે T20 વર્લ્ડકપમાં રમ્યો હતો. પરંતુ તેને આ ફોર્મેટમાં વધારે તક મળી નથી. શમીએ ભારત માટે માત્ર 17 T20 મેચ રમી છે, જેમાં તેણે 18 વિકેટ લીધી છે. આ ફોર્મેટમાં તેણે વધારે પ્રભાવ છોડ્યો નથી. જોકે, તેમનું વનડે અને ટેસ્ટનું પરફોર્મન્સ જોઈને T20 ફોર્મેટમાં તક આપવામાં આવી હતી. આ સાથે શમીને આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનારા T20 વર્લ્ડકપ માટે સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યો છે.
T20 વર્લ્ડકપમાં શમી બેકઅપમાં
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાના નિરાશાજનક પ્રદર્શન બાદ એવી માંગ ઉઠવા લાગી હતી કે શમીને T20 વર્લ્ડકપની ટીમમાં જોડવામાં આવ્યો હતો. જોકે, BCCIએ તેને આ ફોર્મેટમાં પોતાની ભવિષ્યની યોજનાઓમાં જોડ્યો છે. આમ છતાં T20 વર્લ્ડકપ માટે તેને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે. આ કારણે તેને ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝમાં તક આપવામાં આવી છે. આ પ્રદર્શનના આધારે તેને વર્લ્ડકપમાં સામેલ કરવાની યોજના બનાવવામમાં આવી હોઈ શકે છે.