સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, જ્યારે તમે ભારતમાં રન નોંધાવી શકતા નથી તો ચોક્કસથી તમારી ટીકા થશે. લોકેશ રાહુલ એકલો નથી. ભૂતકાળમાં ઘણા ખેલાડીઓને આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ભારત માટે 113 ટેસ્ટ અને 311 વન-ડે રમનારા ગાંગુલીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ પર ઘણું દબાણ હોય છે અને તેમના પર ઘણું ધ્યાન આપવમાં આવે છે. ટીમ મેનેજમેન્ટને લાગે છએ કે તે ટીમ માટે એક મહત્વનો ખેલાડી છે. ટૂંકમાં મહત્વનું એ છે કે કોચ અને કેપ્ટન શું વિચારે છે.
લોકેશ રાહુલે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં કેટલીક શ્રેષ્ઠ ઈનિંગ્સ રમી છે, પરંતુ ગાંગુલીએ કહ્યું હતું કે લોકો રાહુલ જેવા પ્રતિભાશાળી ખેલાડી પાસેથી વધારે અપેક્ષા રાખે છે જેણે નવ વર્ષમાં ફક્ત પાંચ ટેસ્ટ સદી ફટકારી છે. તેમણે કહ્યું હતું કે, તેણે પ્રદર્શન કર્યું છે પરંતુ ચોક્કસથી તમે ભારત માટે રમનારા ટોચના ક્રમના બેટર પાસેથી ઘણી વધારે અપેક્ષા રાખો છો કેમ કે બીજા ખેલાડીઓ દ્વારા ઘણા ઊંચા માપદંડ બનાવવામાં આવ્યા છે. જો તમે થોડા સમય માટે નિષ્ફળ રહેશો તો તમારી ચોક્કસથી ટીકાઓ થશે. મને વિશ્વાસ છે કે રાહુલમાં ક્ષમતા છે અને મને વિશ્વાસ છે કે જ્યારે તેને વધારે તક મળશે તો તેણે રન નોંધાવવા પડશે.
રાહુલની સમસ્યા ટેકનિકલ છે કે માનસિક, તે અંગે પૂછતાં ગાંગુલીએ જણાવ્યું હતું કે, આ સમસ્યા બંને પ્રકારની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષે રાહુલના રન નહીં બનાવી શકવા અંગે રસપ્રદ જાણકારી આપી હતી કેમ કે તે હાલમાં તમામ પ્રકારની પરિસ્થિતિઓમાં ઝડપી બોલર્સની સાથે-સાથે સ્પિનર્સ વિરુદ્ધ પણ આઉટ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, જો તમે આ પ્રકારની પિચો પર રમી રહ્યા છો તો તે વધારે મુશ્કેલ બની જશે કેમ કે બોલ ટર્ન થવાની સાથે ઉછળી પણ રહી છે. તમે જ્યારે ખરાબ ફોર્મમાં હોવ છો ત્યારે અસમાન ઉછાળ તમારા માટે વધારે મુશ્કેલ બની જાય છે.