પસંદગીકારો ઉતાવળ કરવા ઈચ્છતા નથી
બાંગ્લાદેશમાં વન-ડે સીરિઝમાં આરામ મળ્યા બાદ રિશભ પંતને ટી20 કે વન-ડે ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. પંતે ટેસ્ટ સીરિઝમાં મીરપુર ટેસ્ટમાં 93 રન નોંધાવ્યા હતા. મીડિયા અહેવાલ પ્રમાણે જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા શ્રીલંકા સીરિઝ માટે ફિટ હતા પરંતુ મંગળવારે રાત્રે ટીમની જાહેરાત કરતી વખતે તે નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ બંનેને ટીમમાં લાવવા માટે ઉતાવળ કરવી જોઈએ નહીં.
રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહ લાંબા સમયથી છે બહાર
જાડેજા અને બુમરાહ લાંબા સમયથી મેદાનની બહાર છે. ચેતન શર્માની અધ્યક્ષતામાં યોજાયેલી પસંદગી સમિતિની બેઠક બાદ બીસીસીઆઈની યાદીમાં તે જણાવવામાં આવ્યું ન હતું કે કયો કયો ખેલાડી ઈજાગ્રસ્ત છે અને કયા ખેલાડીને આરામ આપવામાં આવ્યો છે અથવા તો કોને બહાર કરવામાં આવ્યો છે. જાડેજાની રિકવરીમાં લાંબો સમય લાગી રહ્યો છે. જાડેજાને એક પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેણે છેલ્લે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં એશિયા કપમાં ભાગ લીધો હતો અને બાદમાં તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી.
બાંગ્લાદેશ સામેની સીરિઝમાં સામેલ કરાયો હતો
બાંગ્લાદેશ પ્રવાસ માટે જાડેજાને પહેલા ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં એનસીએના મેડિકલ સ્ટાફે તેને સંપૂર્ણ ફિટ જાહેર કર્યો ન હતો જેના કારણે તેને બહાર કરી દેવામાં આવ્યો હતો. જાડેજાની રિકવરીમાં જરૂર કરતા વધારે સમય થયો છે. ટીમ તેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફેબ્રુઆરીમાં રમાનારી ચાર ટેસ્ટની સીરિઝ પહેલા પાછો લાવવા ઈચ્છે છે. આ સીરિઝ પહેલા જાડેજા એક રણજી ટ્રોફી મેચ રમી શકે છે.
એનસીએમાં જશે રિશભ પંત
શ્રીલંકા સામે ટી20 અને વન-ડે બંને ટીમમાં રિશભ પંતને સામેલ કરવામાં આવ્યો નથી. રિપોર્ટનું કહેવું છે કે વિકેટકીપર બેટર બેંગલુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ માટે મોકલવામાં આવ્યો છે જેથી તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર મેચની ટેસ્ટ સીરિઝ પહેલા ફિટ થઈ શકે.