જો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાઈ થાય છે તો બુમરાહ તે પણ ગુમાવી શકે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઓવલ મેદાન પર 7 જૂનથી શરૂ થશે. બુમરાહ ટી20 વર્લ્ડ કપમાં રમી શક્યો ન હતો. જ્યારે બાંગ્લાદેશના પ્રવાસ પર પણ જઈ શક્યો ન હતો. આ ઉપરાંત ઘરઆંગણે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી સીરિઝમાં પણ તે રમી શક્યો ન હતો. તથા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝ અને ત્યારબાદ રમાનારી વન-ડે સીરિઝનો પણ તે ભાગ નથી.
બેંગલુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) ખાતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના મેડિકલ સ્ટાફે બુમરાહના કેસને પ્રાથમિકતા આપી છે અને તેને પીઠની સર્જરીની સલાહ આપી છે. તેની લોઅર બેકમાં ઈજા થઈ છે. જોકે, બીસીસીઆઈ એનસીએ અને બુમરાહ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે, કેમ કે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે.
જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ જસપ્રિત બુમરાહના કમબેકને લઈને કોઈ જોખમ લેવા ઈચ્છતું નથી. આ ઉપરાંત ભારતીય ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન રોહિત શર્મા પણ ઈચ્છે છે કે જસપ્રિત બુમરાહ એકદમ ફિટ થઈ ગયા પછી જ ટીમમાં પાછો ફરે. રોહિતે ચેતવણી આપી છે કે જસપ્રિત બુમરાહના કમબેકને લઈને કોઈ પણ જાતની ઉતાવળ કરવી જોઈએ નહીં.