india vs bangladesh test series 2022, બાંગ્લાદેશ સામે વિજય છતાં હજી ઊભા છે આ 5 સવાલો, ટીમ ઈન્ડિયાએ શોધવા પડશે જવાબ - india win two test match series but five biggest questions still remain

india vs bangladesh test series 2022, બાંગ્લાદેશ સામે વિજય છતાં હજી ઊભા છે આ 5 સવાલો, ટીમ ઈન્ડિયાએ શોધવા પડશે જવાબ – india win two test match series but five biggest questions still remain


ભારતે બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ મેચ ત્રણ વિકેટે જીતી લીધી છે. આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમે બે મેચની સીરિઝ 2-0થી પોતાના નામે કરી છે. જોકે, ટીમ માટે બીજી ટેસ્ટ મેચ જીતવાનો માર્ગ આસાન રહ્યો ન હતો. સીરિઝની પ્રથમ ટેસ્ટમાં ભારતે 50 રનની અંદર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે પોતાની અંતિમ ઈનિંગ્સમાં બાંગ્લાદેશી બેટર્સે 300થી વધારે રન ફટકાર્યા હતા. બીજી ટેસ્ટમાં તો ભારત માંડ-માંડ જીત્યું હતું. 145 રનના લક્ષ્યાંક સામે ટીમ ઈન્ડિયાએ 74 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. તેથી ભલે ભારત સીરિઝ જીતી ગયું હોય પરંતુ હજી પાંચ એવા મોટા સવાલો છે જેના જવાબ ભારતે ઝડપથી શોધવા પડશે.

લોકેશ રાહુલને ક્યાં સુધી તક મળશે?
લોકેશ રાહુલે ભારત માટે 45 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેની સરેરાશ 35થી પણ ઓછી છે. તેણે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકામાં સદી ફટકારી છે પરંતુ તેની બેટિંગમાં સાતત્યતાનો અભાવ હંમેશા રહ્યો છે. તેમ છતાં તેને સતત તક મળી રહી છે. આ સીરિઝમાં તેણે ફક્ત 57 રન નોંધાવ્યા હતા. આ વર્ષે રાહુલે ટેસ્ટ મેચમાં ફક્ત 137 રન જ નોંધાવ્યા છે. તેમ છતાં હજી તેને કેટલી તક મળતી રહેશે તે મોટો સવાલ છે.

રોહિત શર્મા બાદ સુકાની કોણ?
લોકેશ રાહુલ સતત નિષ્ફળ જઈ રહ્યો છે અને કેપ્ટનસીમાં પણ અટપટા નિર્ણયો લઈ રહ્યો છે. લોકેશ રાહુલ ઉપસુકાની છે અને જો કંગાળ ફોર્મના કારણે તે ટીમમાંથી બહાર થઈ જશે તો રોહિત શર્મા બાદ કેપ્ટન કોણ હશે તે પણ મોટો પ્રશ્ન છે. રોહિત શર્મા માર્ચમાં 36 વર્ષનો થઈ જશે અને ઈજાની સમસ્યા પણ તેની સાથે રહેલી છે. તેવામાં બીસીસીઆઈની સાથે જ ટીમ મેનેજમેન્ટ પાસે પણ મોટો સવાલ છે કે રોહિત શર્મા બાદ કેપ્ટન કોણ હશે?

વિરાટ કોહલીનું શું?
ક્રિકેટની દુનિયામાં કોહલીનું વિરાટ નામ છે. વિશ્વના શ્રેષ્ઠ બેટર્સમાં તેની ગણના થઈ રહી છે પરંતુ ટી20 અને વન-ડેમાં ફોર્મ મેળવી ચૂકેલો કોહલી હજી ટેસ્ટમાં નિષ્ફળ જોવા મળ્યો છે. 2020થી કોહલીએ 20 ટેસ્ટમાં ફક્ત 26.20ની સરેરાશ સાથે 917 રન નોંધાવ્યા છે. જેમાં એક પણ સદી સામેલ નથી. હવે આવા ફોર્મ સાથે કોહલીને પણ કેટલી તક મળતી રહેશે તે પણ જોવાનું રહેશે. બીજી ટેસ્ટમાં સ્લિપમાં તેણે ત્રણ કેચ પણ છોડ્યા હતા.

સ્પિન વિરુદ્ધ કેમ ફ્લોપ થઈ રહ્યા છે બેટર્સ?
ભારતીય બેટર્સ સ્પિન બોલિંગ સામે મજબૂત રીતે રમે છે. ભારતીય ઉપખંડોની પિચો પણ સ્પિન બોલિંગ માટે મદદરૂપ હોય છે. જોકે, સીરિઝમાં બાંગ્લાદેશી સ્પિન બોલિંગ સામે ભારતીય બેટર્સ સંઘર્ષ કરતાં જોવા મળ્યા હતા. બીજી ટેસ્ટા બીજા દાવમાં બણ ભારતીય બેટર્સ સમજી શક્યા ન હતા કે કયો બોલ સીધો રહેશ અને કયો બોલ ટર્ન થશે. ચેતેશ્વર પૂજારા અને શુભમન ગિલ જેવા બેટર તો સ્ટમ્પ થઈ ગયા હતા.

કેમ નીચલા ક્રમની વિકેટ ઝડપથી નથી મળતી?
ભારતીય ટીમની આ સમસ્યા આજકાલની નથી પરંતુ ઘણા લાંબા સમયથી છે. બોલર્સ ટોપ ઓર્ડરના બેટર્સને આઉટ કરી દે છે પરંતુ લોઅર ઓર્ડરના બેટર્સ મુશ્કેલી ઊભી કરે છે. વન-ડે સીરિઝની પ્રથમ બંને મેચમાં આવું થયું હતું. પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં 102 રન પર 8 વિકેટ પડ્યા બાદ બાંગ્લાદેશે 150 રન નોંધાવ્યા હતા. બીજી ટેસ્ટના બીજા દાવમાં પણ 113 રન પર 6 વિકેટ ગુમાવ્યા બાદ બાંગ્લાદેશે 231 રન નોંધાવ્યા હતા. 7મી વિકેટ માટે 46 અને 8મી માટે 60 રનની ભાગીદારી નોંધાઈ હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *