Today News

cheteshwar pujara, પ્રથમ ટેસ્ટઃ ચેતેશ્વર પૂજારા સદી ચૂક્યો, પ્રથમ દિવસે બાંગ્લાદેશે ભારતને હંફાવ્યું – india vs bangladesh 1st test 2022 cheteshwar pujara misses ton taijul islam take three wickets on day one

BAN vs IND2


Edited by Chintan Rami | I am Gujarat | Updated: 14 Dec 2022, 4:42 pm

India vs Bangladesh 1st Test 2022: દિવસના અંતે શ્રેયસ ઐય્યર 82 રને બેટિંગમાં છે. પ્રથમ દિવસે ભારતીય બેટિંગમાં ચેતેશ્વર પૂજારા અને ઐય્યરનો દબદબો રહ્યો હતો પરંતુ કમનસીબે પૂજારા સદી ચૂકી ગયો હતો. પૂજારા (Cheteshwar Pujara) 90 રન નોંધાવીને આઉટ થયો હતો. બાંગ્લાદેશ માટે તાઈજુલ ઈસ્લામે ત્રણ મહત્વની વિકેટો ઝડપી હતી.

 

હાઈલાઈટ્સ:

  • પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસના અંતે ભારતે છ વિકેટે 278 રનનો સ્કોર નોંધાવ્યો, શ્રેયસ ઐય્યર 82 રને રમતમાં
  • ચેતેશ્વર પૂજારા 90 રન નોંધાવીને આઉટ, બાંગ્લાદેશ માટે તાઈજુલ ઈસ્લામે ત્રણ વિકેટ ઝડપી હતી
  • પ્રથમ દિવસે ભારતના સ્ટાર બેટર્સ ફ્લોપ, વિરાટ કોહલી ફક્ત એક જ રન નોંધાવી શક્યો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બુધવારથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રથમ દિવસે યજમાન ટીમનું પલડું થોડું ભારે જોવા મળ્યું છે. સુકાની લોકેશ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતના સ્ટાર બેટર્સ ફ્લોપ રહ્યા હતા અને બેજવાબદાર શોટ્સ રમીને આઉટ થયા હતા. પ્રથમ દિવસના અંતે ભારતે છ વિકેટે 278 રન નોંધાવ્યા છે. દિવસના અંતે શ્રેયસ ઐય્યર 82 રને બેટિંગમાં છે. પ્રથમ દિવસે ભારતીય બેટિંગમાં ચેતેશ્વર પૂજારા અને ઐય્યરનો દબદબો રહ્યો હતો પરંતુ કમનસીબે પૂજારા સદી ચૂકી ગયો હતો. પૂજારા 90 રન નોંધાવીને આઉટ થયો હતો.

ભારતના ટોચના બેટર્સ રહ્યા ફ્લોપ
ભારત માટે સુકાની લોકેશ રાહુલ અને શુભમન ગિલની જોડી બેટિંગમાં આવી હતી. નિયમિત સુકાની રોહિત શર્મા ઈજાગ્રસ્ત હોવાના કારણે કેપ્ટનસીની જવાબદારી રાહુલ પર હતી. રાહુલ અને ગિલની જોડી અપેક્ષા પ્રમાણે શરૂઆત અપાવી શકી ન હતી. ટીમનો સ્કોર 41 રન હતો ત્યારે શુભમન ગિલ આઉટ થયો હતો. તેણે 40 બોલમાં 20 રન નોંધાવ્યા હતા. જ્યારે લોકેશ રાહુલ 22 રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. શાનદાર ફોર્મમાં રમી રહેલો વિરાટ કોહલી ફ્કત એક જ રન નોંધાવી શક્યો હતો. વિકેટકીપર બેટર રિશભ પંતે આક્રમક ઈનિંગ્સ રમી હતી પરંતુ ઝડપથી આઉટ થઈ ગયો હતો. તેણે 45 બોલમાં છ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 46 રન ફટકાર્યા હતા.

ચેતેશ્વર પૂજારા અને શ્રેયસ ઐય્યરે સંભાળી બાજી
112 રનના સ્કોર પર ભારતે ચાર મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. પરંતુ બાદમાં ચેતેશ્વર પૂજારા અને શ્રેયસ ઐય્યરે બાજી સંભાળી હતી. આ જોડીએ મક્કમતાથી બાંગ્લાદેશી બોલર્સનો સામનો કર્યો હતો. પૂજારા અને ઐય્યરે 149 રનની ભાગીદારી નોંધાવી હતી. આ જોડીએ બંને બેટર્સે ભારતના ધબડકાને અટકાવી હતી. જોકે, કમનસીબે પૂજારા 10 રન માટે સદી ચૂકી ગયો હતો. પૂજારાએ 203 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 90 રનની ઈનિંગ્સ રમી હતી. તે તાઈજુલ ઈસ્લામના બોલ પર બોલ્ડ થયો હતો. જ્યારે ઐય્યર 169 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 82 રને રમતમાં છે. દિવસના અંતિમ બોલ પર અક્ષર પટેલ એલબીડબલ્યુ આઉટ થયો હતો. તેણે 14 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ માટે તાઈજુલ ઈસ્લામે ત્રણ, મેંહદી હસન મિરાઝે બે તથા ખાલીત અહેમદે એક વિકેટ ઝડપી હતી.

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Exit mobile version