પસંદગી સમિતિમાં ચેતન શર્મા સાથે શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જી, સલીલ અંકોલા અને શ્રીધરન શરતને સામેલ કરવામાં આવ્યા છે. સુલક્ષણા નાઈક, અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેવાળી ક્રિકેટ સલાહકાર સમિતિએ નવી પસંદગી સમિતિની પસંદગી કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 18 નવેમ્બર 2022ના રોજ પસંદગીકારના પદ માટે અરજી મંગાવી હતી. તેના માટે બોર્ડને અંદાજીત 600 અરજીઓ મળી હતી.
ચાર ખેલાડી ટેસ્ટ રમી ચૂક્યા છે
ચેતન શર્મા ભારત માટે 23 ટેસ્ટ અને 65 વન-ડે રમી ચૂક્યા છે. ભૂતપૂર્વ બેટર શિવ સુંદર દાસ ભારત માટે 23 ટેસ્ટ અને ચાર વન-ડે રમ્યા છે. તેઓ ભારત માટે રમનારા ઓડિશાના ફક્ત ત્રીજા ખેલાડી હતા. પટનામાં જન્મેલા સુબ્રતો બેનર્જીએ ભારત માટે એક ટેસ્ટ અને છ વન-ડે રમી છે. તેઓ 1992માં ભારતીય ટીમનો ભાગ હતા. જ્યારે ભૂતપૂર્વ ઝડપી બોલર સલિલ અંકોલાએ ભારત માટે ફક્ત એક જ ટેસ્ટ મેચ રમી છે. તેણે સચિન તેંડુલકર સાથે જ પાકિસ્તાન વિરુદ્ધ પોતાની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. સલિલ અંકોલા મુંબઈ ટીમના મુખ્ય પસંદગીકારની ભૂમિકા ભજવી ચૂક્યા છે.
શ્રીધરન પાસે આંતરરાષ્ટ્રીય અનુભવ નથી
તમિલનાડુના ભૂતપૂર્વ ક્રિકેટર શ્રીધરન શરત પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો કોઈ અનુભવ નથી. પરંતુ તેમણે 139 ફર્સ્ટ ક્લાસ અને 116 લિસ્ટ-એ મેચ રમી છે. આ સાથે જ તેઓ મેચ રેફરીની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે. શરત રાષ્ટ્રીય જૂનિયર પસંદગી સમિતિના મુખ્ય પસંદગીકાર પણ રહી ચૂક્યા છે.
પસંદગી સમિતિ સામે પ્રથમ ટાસ્ક ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી સીરિઝ માટે ભારતીય ટીમની પસંદગી કરવાનો રહેશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમવાની છે. આ વર્ષના અંતમાં વન-ડે વર્લ્ડ કપ પણ રમાવાનો છે. આ વર્લ્ડ કપ ભારતની યજમાનીમાં રમાવાનો છે. ભારતે છેલ્લે 2011માં વન-ડે વર્લ્ડ કપની યજમાની કરી હતી.