હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
છતમાંથી ટપક્યું પાણી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પૈકીનું એક છે. અહીં 1.32 લાખ લોકો બેસી શકે તેટલી ક્ષમતા છે. 2021માં આ સ્ટેડિયમનું રિનોવેશન કર્યા બાદ ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ રવિવારે પડેલા ધોધમાર વરસાદમાં સ્ટેડિયમની છતમાંથી પાણી ટપકવા લાગ્યું હતું. સ્ટેડિયમમાં હાજર કેટલાક દર્શકોએ તેનો વિડીયો ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ભીડ એટલી બધી હતી કે લોકોને ટપકતા પાણીના લીધે પલળવું પડ્યું હતું.
BCCIની વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
બીસીસીઆઈ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઉદ્ઘાટન થયે હજી બે વર્ષ થયા છે. એવામાં વરસાદે સ્ટેડિયમના બાંધકામની પોલ ખોલી દીધી છે. સોશિયલ મીડિયા પર લીક થતી છતનો વિડીયો વાયરલ થતાં બીસીસીઆઈની વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. ગત વર્ષે ચિન્નાસ્વામી સ્ટેડિયમની છતમાંથી પણ પાણી ટપકતું હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ સિવાય તેની સાફ-સફાઈને લઈને પણ સવાલ ઉઠતા રહ્યા છે. કેટલીયવાર મહિલા ફેન્સે બાથરૂમની વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો કર્યા છે.
11 વાગ્યે એમ્પાયરોએ લીધો નિર્ણય
અમદાવાદની વાત કરીએ તો, વરસાદ રાત્રે 9 કલાકે બંધ થયો હતો. મેદાન કોરું કરવા માટે સુપર સોકર મેદાનમાં પહોંચ્યું તો દર્શકોને આશા બંધાઈ કે હવે મેચ શરૂ થશે. પરંતુ તેમની ખુશી લાંબી ના ટકી કારણકે ટૂંકા વિરામ બાદ ફરીથી મેઘરાજાએ વરસવાનું શરૂ કરી દીધું. જેથી ફરીથી મેદાન ઢાંકી દેવાયા. વરસાદી મોસમ વચ્ચે રાત્રે 11 કલાકની આસપાસ અમ્પાયરોએ નિર્ણય કર્યો કે, આઈપીએલની ફાઈનલ મેચ રિઝર્વ ડે પર રમાડવામાં આવશે. હવે આજે એટલે કે, સોમવારે વરસાદનું વિઘ્ન ના નડે અને ધોની-હાર્દિક પંડ્યાની ટીમો વચ્ચેનો મુકાબલો માણી શકાય તેવી આશા ફેન્સ રાખી રહ્યા છે.