આ અંગે ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે પોતાનો મત વ્યક્ત કર્યો છે. હરભજન સિંહનું કહેવું છે કે બાકી બે ટેસ્ટ મેચ માટે ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવો જોઈએ. હરભજન સિંહે કહ્યું હતું કે, રવિન્દ્ર જાડેજા જે પ્રકારે ફોર્મમાં છે અને તે જે રીતનું પ્રદર્શન કરી રહ્યો છે તે જોતા ટીમની વાઈસ કેપ્ટનસી તેને મળવી જોઈએ. હરભજન સિંહે જણાવ્યું હતું કે, રવિન્દ્ર જાડેજાને હાલના સમયમાં ટીમમાં આ જવાબદારી મળે છે તો તે હજી વધારે સારું પ્રદર્શન કરી શકે છે. તે ટીમના સીનિયર ખેલાડીઓમાંનો એક છે. આ ઉપરાંત જાડેજા પોતાની કારકિર્દીની ટોચ પર છે. જ્યાં તે ફક્ત પોતાની બોલિંગ જ નહીં પરંતુ બેટિંગથી પણ કમાલ કરી રહ્યો છે.
વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ઓલ-રાઉન્ડર છે રવિન્દ્ર જાડેજા
હરભજન સિંહનું માનવું છે કે વર્તમાન સમયમાં વિશ્વમાં રવિન્દ્ર જાડેજા કરતા શ્રેષ્ઠ ઓલ-રાઉન્ડર બીજો કોઈ નથી. તેણે કહ્યું હતું કે, રવિન્દ્ર જાડેજા જ્યારે પણ મેદાનમાં ઉતરે છે ત્યારે લાગે છે કે તે પ્રત્યેક મેચમાં ટીમ માટે રન પણ નોંધાવશે અને વિકટે પણ લેશે. તે એક મેચ વિનર ખેલાડી છે. જોકે, હરભજન ઈંગ્લેન્ટના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને રવિન્દ્ર જાડેજાની બરાબરીનો માને છે. તેનું માનવું છે કે ઓલ-રાઉન્ડર તરીકે જાડેજા અને સ્ટોક્સનો કોઈ જવાબ નથી. તેવામાં સૌરાષ્ટ્રના સ્ટારને ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન બનાવવો જોઈએ.
સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ 2-0ની સરસાઈ મેળવી છે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટની સીરિઝ રમાઈ રહી છે. જેની પ્રથમ બે ટેસ્ટમાં ભારતનો વિજય થયો છે. ભારતે હાલમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. સીરિઝની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ રહી હતી. નાગપુરમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને એક ઈનિંગ્સ અને 132 રને પરાજય આપ્યો હતો. જ્યારે દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે વિજય નોંધાવ્યો હતો. બંને મેચ ત્રણ દિવસની અંદર જ સમાપ્ત થઈ ગઈ હતી.
ઈન્દોર ટેસ્ટ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.