લોકેશ રાહુલે અત્યાર સુધી ચાર આંતરાષ્ટ્રીય મેચોમાં ભારતીય ટીમની આગેવાની કરી છે અને ચારેય મેચમાં ટીમનો પરાજય થયો છે. તેમાંથી એક ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે સામેલ છે. બીજી તરફ ધવને છ વન-ડે મેચમાં ભારતીય ટીમની કમાન સંભાળી છે તેમાંથી પાંચ મેચમાં ટીમનો વિજય થયો છે. આ ઉપરાંત ધવને ત્રણ ટી20 મેચમાં પણ ટીમની આગેવાની કરી હતી જેમાં એક મેચમાં ટીમનો વિજય થયો હતો જ્યારે બે મે મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ધવને ગત જુલાઈમાં પ્રથમ વખત ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. તે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં પણ ટીમનો સુકાની હતો. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારતે ત્રણ વન-ડે મેચની સીરિઝમાં યજમાન ટીમને ક્લીન સ્વીપ કર્યું હતું જ્યારે શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચની સીરિઝ 2-1થી જીતી હતી. જ્યારે શ્રીલંકા સામે ત્રણ ટી20 મેચની સીરિઝમાં ભારતીય ટીમને 1-2થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
લોકેશ રાહુલને આ વર્ષે જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકા પ્રવાસમાં રોહિત શર્માની ગેરહાજરીમાં પ્રથમ વખત ભારતીય ટીમની આગેવાની કરવાની તક મળી હતી. તેના નેતૃત્વમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતે જે ત્રણ વન-ડે રમી હતી તે તમામમાં ટીમનો પરાજય થયો હતો. આ પ્રવાસની બીજી ટેસ્ટમાં તત્કાલીન સુકાની વિરાટ કોહલી ફિટ ન હોવાના કારણે રાહુલે કેપ્ટનસી કરી હતી. આ મેચ ભારત સાત વિકેટે હારી ગયું હતું. રાહુલે આ વર્ષે ફેબ્રુઆરી બાદ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તેને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સીરિઝમાં રમવાનું હતું પરંતુ કોરોનાગ્રસ્ત થવાના કારણે તે રમી શક્યો ન હતો.