હકીકતમાં, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 10 નવેમ્બરે એટલે કે આગામી ગુરુવારે એડિલેડના જે ઓવલ મેદાન પર સેમિફાઈનલ મુકાબલો રમાવાનો છે, ત્યાં ટોસને લઈને ઘણો રસપ્રદ આંકડો સામે આવી રહ્યો છે. આ ગ્રાઉન્ડ પર ટી-20 વર્લ્ડ કપની 11 મેચ રમાઈ ચૂકી છે, જેમાં ટોસ જીતનારી ટીમો અહીં હારી જાય છે. ભારતે આ મેદાન પર બાંગ્લાદેશને હરાવ્યું હતું. એ મેચમાં પણ બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ-અલ-હસને ટોસ જીત્યો હતો.
પ્રેક્ટિસ સેશનમાં રોહિતને ઈજા
ભારતીય ટીમનું વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન એક સામાન્ય દિવસને બદલે વ્યસ્ત સેશનમાં ફેરવાઈ ગયું, કારણ કે, રોહિત શર્મા બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો. થ્રોડાઉનનો સામનો કરતી વખતે દડો તેના હાથ પર લાગ્યો હતો. તે પછી તેને મેદાનમાંથી બહાર જઈ સારવાર કરાવવી પડી હતી. જોકે, બાદમાં તે પ્રેક્ટિસમાં જોડાઈ ગયો હતો.
દિનેશ કાર્તિક કે રિષભ પંત, કોણ રમશે?
સેમિફાઈનલમાં ભારતનો સામનો મોઈન અલીના રૂપમાં ઓફ સ્પિનર સામે થશે. અહીં કાર્તિકનું પલ્લું ભારે થઈ શકે છે. ટીમ મેનેજમેન્ટે કહ્યું હતું કે, ભલે પંતે અગાઉની મેચ રમી, તેનો અર્થ એ નથી કે, કાર્તિક ટીમની બહાર થઈ ગયો છે. કાર્તિકની પ્રેક્ટિસ પરથી એવું લાગી રહ્યું છે કે, તે ઈંગ્લેન્ડ સામે રમવા માટે તૈયાર છે. ગત મેચ પછી મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને ટીમમાં ફેરફારની તક મળી. તેમણે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે, પસંદગી માટે બધા ઉપલબ્ધ છે. માત્ર, એટલા માટે કે, કોઈ આ મેચમાં નથી રમ્યું તેનો અર્થ એ નથી કે, અમે તેની પાસે પાછા ન જઈ શકીએ.’