તિરુવનંતપુરમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ ટી20 મેચ અગાઉ વાત કરતા ગાંગુલીએ જણાવ્યું હતું કે, સંજૂ સેમસન સારું રમી રહ્યો છે. તે ભારત માટે ટી20 વર્લ્ડ કપ ચૂકી ગયો છે. તે ભારતીય ટીમના પ્લાનમાં છે. હવે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનારી વન-ડે સીરિઝમાં તે ટીમનો ભાગ છે. તેણે આઈપીએલ ફ્રેન્ચાઈઝીમાં સારું પ્રદર્શન કર્યું છે અને તે સુકાની પણ છે.
નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને ટી20 વર્લ્ડ કપ રમવાનો છે. બીસીસીઆઈ એ તે માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. હાલમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ટી20 સીરિઝ રમી રહી છે. જેની પ્રથમ મેચ બુધવારે રમાઈ હતી જેમાં રોહિત શર્માની ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા વિજય નોંધાવ્યો હતો. આ સાથે ભારતીય ટીમે ત્રણ મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. અગાઉ ભારતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રણ ટી20 મેચની સીરિઝ 2-1થી જીતી લીધી હતી. જોકે, ટી20 વર્લ્ડ કપ અગાઉ ભારતીય ટીમ માટે ડેથ ઓવર્સ બોલિંગ ચિંતાનો વિષય છે. તેથી તેમાં સુધારો કરવા માટે સાઉથ આફ્રિકા સામેની સીરિઝ ઉત્તમ તક છે. ટી20 સીરિઝ બાદ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ વન-ડે મેચની સીરિઝ રમાશે.